જળચરો માટે પણ 3 સરોવર અને 2 ડેમ તૈયાર કરાશે
અહીં માત્ર ગૌસેવા જ નહીં, પરંતુ પર્યાવરણનું પણ જતન કરાશે. આ કેમ્પસમાં હજારોની સંખ્યામાં જેટલા વડ, પીપળો, લીમડો અને આંબલી જેવા વૃક્ષો વાવવાનું આયોજન છે. આ ઉપરાંત, જળચર જીવો માટે ત્રણ સરોવર અને બે ડેમ રિપેર કરાઈ રહ્યા છે, જેથી પશુ પક્ષીને અનૂકુળ કુદરતી વાતાવરણ મળી રહે. ગૌવંશના નિવાસ માટે ‘શેડ’ ને બદલે ‘ગૌછત્ર’ બનાવાઈ રહ્યા છે, જેમાં અત્યારે 1,000 ગાયો માટેની સુવિધા તૈયાર થઈ ગઈ છે.
ગૌવંશ માટે નેપિયર પદ્ધતિથી ઘાસની ખેતી કરાશે
ગૌવંશના ભરણપોષણ માટે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી નેપિયર ઘાસની ખેતી કરાશે. શરૂઆતમાં 25 એકરમાં આ ઘાસ વાવવામાં આવશે, જે એકવાર વાવ્યા પછી 7 વર્ષ સુધી ચાલી શકે છે અને તે ખૂબ જ સસ્તું પડે છે. ભવિષ્યમાં ગૌવંશની સારવાર માટે અહીં એક હાઈટેક ગૌ હોસ્પિટલ પણ ઊભી કરાશે, જેમાં ડોક્ટરો અને જરૂરી તમામ સુવિધા હશે કારણ કે આટલી મોટી સંખ્યામાં પશુઓ હોય ત્યારે તેમની સ્વાસ્થ્ય સંભાળ અનિવાર્ય છે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે આશરે 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે, જેનો લક્ષ્યાંક 15,000થી 20,000 ગૌવંશને આશ્રય આપવાનો છે. આ માટે ભંડોળ એકત્ર કરવા આગામી 10 જાન્યુઆરીએ લોક ડાયરો તેમજ મે મહિનામાં ભાગવત કથાનું આયોજન છે. અત્યાર સુધીમાં અંદાજે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સેક્સ સોર્ટેડ સિમેન પદ્ધતિથી 90% વાછરડી જન્મશે
અહીં સેક્સ સોર્ટેડ સિમેન પદ્ધતિને પ્રોત્સાહન અપાશે. આ પદ્ધતિથી 90% વાછરડી જ જન્મે છે, જેથી ભવિષ્યમાં રખડતા નંદીઓની સમસ્યા કુદરતી રીતે જ ઓછી થઈ શકે. આ ઉપરાંત, ગાયના છાણમાં વેલ્યુ એડિશન કરીને જમીન માટે ખાતર બનાવાશે, જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે.
ભવિષ્યમાં અહીં ટુરિઝમ સેન્ટર બનશે, જે જોતા ચાર કલાક લાગશે
આ ગૌ અભયારણ્ય ભવિષ્યમાં એક મોટું ટુરિઝમ સેન્ટર પણ બનશે, જ્યાં પ્રવાસીઓ જીપમાં બેસીને આખું કેમ્પસ જોઈ શકશે. આ સમગ્ર વિસ્તાર જોવા માટે અંદાજે ચાર કલાક જેટલો સમય લાગશે. 100થી વધુ લોકોની ટીમ અત્યારે અહીં દિવસ-રાત કાર્યરત છે. આ પ્રોજેક્ટથી માત્ર ગાયોનું જ ભલું નહીં થાય, પરંતુ આસપાસના ગામડાંનો પણ આર્થિક અને સામાજિક વિકાસ થશે.